હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ જાનીસાર સાથીઓએ સત્ય ખાતર કરબલાના મેદાનમાં શહાદત વ્હોરી હતી જેની યાદમાં વિશ્વભરમાં મુસ્લિમ બિરાદરો મહોરમ પર્વ મનાવે છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં વર્ષોથી મોહરમ પર્વ નિમિત્તે પરંપરાગત રીતે ઝુલુસ નીકળતું હતું. ઈડર જુમ્મા મસ્જિદ થી ટાવર થઈ છેક સુરપુર ગામ સુધી ઝુલુસ નીકળતું હતું. પણ આ વખતે ઈડર કસ્બા સમાજે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે ચર્ચા વિચારણાના અંતે વર્ષો જૂની પરંપરા તોડી ઝુલુસ નહિ કાઢવા નિર્ણય લીધો હતો. આ વર્ષે ઇડર શહેરમાં મહોરમ નિમિત્તે મુસ્લિમ વિસ્તારમાં પાણીની પરબો બંધાઈ હતી. મુસ્લિમ યુવા કમિટીઓ તરફથી નિયાઝની વ્યવસ્થા કરાઈ હતી. મુસ્લિમ બિરાદરોએ કતલની રાત ઈબાદતમાં વિતાવી હતી. આ ઉપરાંત બંને દિવસ રોઝદારો માટે ઇફતારીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

મહોરમના દિવસે સવારે કુરાનખાની રાખવામાં આવી હતી ત્યાર બાદ બપોરે બે વાગ્યા પછી જુમ્મા મસ્જિદ પાસે જ પરંપરા મુજબ તાજિયા કાઢવામાં આવ્યા હતા. અને અસરની નમાઝ સુધી તમામ પ્રક્રિયા આટોપી લેવાઈ હતી. છેલ્લે આમ ઇફતારી બાદ ફરી મોડી રાત સુધી નિયાઝ વહેંચવામાં આવી હતી. સમગ્ર પર્વના સફળ બનાવવા માટે ઇડર કસ્બા જમાત પ્રમુખ હારૂન ખાન પઠાણ, આસીફ બેલીમ માજિદ પઠાણ (સંજય ) મોહરમ કમિટી ચેરમેન તથા કારોબારી સભ્યો ઉપરાંત મુસ્લિમ કમિટીના યુવાઓએ અથાગ મેહનત કરી હતી.
Tags:
Gujarat