મોટી ખાડોલ, ગુજરાત* : સમાજમાં માનવતા, સંવેદના અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા શ્રી અમ્રત બાપા મેલડી ધામ મંદિર (મોટી ખાડોલ) દ્વારા નિરાધાર, માબાપ વિહોણી તથા જરૂરિયાતમંદ દીકરીઓ માટે તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 19 નિરાધાર દીકરીઓના વિવાહ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવશે, જે તેમના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત કરશે.
આ પાવન આયોજન માત્ર લગ્ન સુધી સીમિત નથી, પરંતુ સમાજના સૌથી નબળા વર્ગ માટે આશાનો દીવો બની રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં વધુ ને વધુ નિરાધાર દીકરીઓના લગ્ન કરાવવાની પણ મહત્ત્વાકાંક્ષી યોજના ઘડવામાં આવી છે, જે સમાજમાં સમાનતા અને સન્માનની ભાવનાને મજબૂત બનાવે છે.લગ્નોત્સવ દરમિયાન દીકરીઓને જરૂરી તમામ ઘરગથ્થુ ચીજવસ્તુઓનું કરિયાવર પણ આપવામાં આવશે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે નવા જીવનની શરૂઆત કરી શકે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ લોકહિતકારી સેવાઓ હાથ ધરવામાં આવે છે, જેમાં માતાજીની બેઠક, જરૂરિયાતમંદ લોકો માટે ભોજન રથ (ભોજન સેવા), ગૌશાળા સહિતના સેવાકાર્યો સામેલ છે.
આ પ્રસંગે ટ્રસ્ટી ઉષાબેનએ ભાવુક શબ્દોમાં જણાવ્યું કે,* “નિરાધાર દીકરીઓને સમાજમાં સન્માનપૂર્વક સ્થાન મળે અને તેઓ કોઈપણ ભય કે અસુરક્ષાની લાગણી વિના પોતાના જીવનની શરૂઆત કરી શકે — એજ અમારું મુખ્ય લક્ષ્ય છે. આ દીકરીઓ માત્ર લાભાર્થી નથી, પરંતુ અમારા પરિવારનો અવિભાજ્ય ભાગ છે. સમાજના સહકારથી અમે આવનારા સમયમાં વધુ દીકરીઓના સપનાઓ સાકાર કરવા પ્રતિબદ્ધ છીએ.”
શ્રી અમ્રત બાપા મેલડી ધામ મંદિર દ્વારા કરવામાં આવતું આ સમૂહ લગ્નોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ માનવતા, કરુણા અને સામાજિક જવાબદારીનું જીવંત પ્રતીક છે, જે સમાજને નવી દિશા આપે છે અને દરેક દીકરી માટે સુરક્ષિત અને સન્માનપૂર્ણ ભવિષ્યનું સ્વપ્ન સાકાર કરે છે.
